બાળજીવોના જીવનઘડતરમાં કથાઓ ખૂબ મોટો ભાગ ભજવે છે. આબાલગોપાલ સહુને પ્રિય થઇ પડે તેવી રસપ્રદ આ કથાઓના વાંચનથી ભાવુક જીવોને નવી પ્રેરણાઓ જરુર મળશે. સંસ્કૃતિના નિયમોને અભરાઇએ ચડાવીને કોઇના લવમાં પડી જતાં આજના યુવાધનને ચેતવણી આપતો સત્યપ્રસંગ કાનમાં ઘણું કહી જાય છે. શીલરક્ષા માટે ભાઇએ બેનનું ડોકું ઉડાવ્યું - આ સત્ય પ્રસંગ વાંચ્યા બાદ હૃદય જેવી ચીજ હશે તો... પૈાષધવ્રત-પ્રિય શેઠ સુવ્રતની કથા કરુણાનો મહિમા સમજાવે છે. ભિખારી ભીખલાની કરુણા-ભાવના જાણ્યા પછી કમ સે કમ સાધર્મિક-ભક્તિ જીવનમાં પૂરબહારમાં આવશે ખરી ? નોકરો પ્રત્યે કરુણા દાખવનાર મેનેજરનો પ્રસંગ વાંચીને નોકરોને સ્વજનતુલ્ય માનીને તેમની સાથે સદ્વ્યવહાર થશે ? રામકૃષ્ણ પરમહંસની કાલીમા પ્રત્યેની ભક્તિ જાણ્યા બાદ ત્રણ લોકના નાથ અરિહંત પ્રત્યે અત્યંત ભક્તિભાવ ધારણ કરશું તો... પ્રજાપ્રેમી ગોંડલનરેશની કથા-વાંચનથી પૂર્વની રાજાશાહી કેટલી સુંદર હતી ! તેનો ખ્યાલ જરૂર આવશે. રમણમહર્ષિનો પ્રસંગ વાંચ્યા બાદ મળેલા મહાન જૈન ધર્મને યથાશક્તિ આરાધશું તો... રાષ્ટ્રરક્ષા ખાતર બલિદાન આપનાર શહીદ ભગતસિંહનો પ્રસંગ પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં આલેખ્યો છે. વિવિધ વાર્તાઓમાંથી નીતરતું બોધ-નવનીત આચારમાં ઉતારવામાં આવશે તો અનેક ગુણપુષ્પોથી જીવન મઘમઘાયમાન બની જશે.